"તારણહાર"
ચૂંટણી થઈ. નવી સરકાર બની. જૂની સરકાર સામેનો અસંતોષ એટલો તીવ્ર હતો કે પ્રજાએ એમનાં સૂપડાં જ સાફ કરી નાખ્યાં. હવે તો પ્રજા એનો તારણહાર ચૂંટી લાવેલી. એ નવા તારણહારે જ તો એકલાહાથે ચૂંટણી જીતાડેલીને !
તારણહાર. અહા ! શું વ્યક્તિત્વ હતું એનું ? એના તેજાબી ભાષણોથી લોકો મરવા-મારવા તૈયાર થઈ જતાં . સ્ત્રીઓ પાગલ હતી એના મોહમાં. યુવાનોનાં મોબાઇલ-લેપટોપ્સ-કમ્પ્યુટર્સમાં
સત્તા સંભાળતાં જ તારણહારે કામ પણ ચાલું કરી દીધું. આનંદ કરવામાં સમય બરબાદ કરે એ બીજા , તારણહાર નહિ. વીજળીની ઝડપે નિર્ણયો લેવાવા લાગ્યા. વર્ષોની ઊંઘમાંથી જાગેલું વહીવટી-તંત્ર દોડતું થઈ ગયું . બધી જ જગ્યાએ વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા ગુંદરિયા ખુરશી-પૂજકોને હટાવી લેવાયાં . સડસડાટ કાબેલ અને યોગ્ય વહિવટકારો નિમાયા. વર્ષોથી ટેબલો પર ધૂળ ખાતી ફાઈલોમાં જીવ આવ્યો. ઊચ્ચ-શિક્ષિત અને જે-તે ખાતાની જવાબદારી સંભાળવા જેટલાં નિપુણ હોય એમને જ મંત્રી બનાવાયા . પાર્ટીમાં જ ગણગણાટ થયો, પણ કોઈનું કંઈ ચાલે એમ ન્હોતું . પ્રજા તો જોતી જ રહી એમના તારણહારનાં કરતબને.
હવે વારો આવ્યો સરકારી કર્મચારીઓનો . રીતસરની તવાઈ જ આવી એમ સમજોને. એટલી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી કે રેઢિયાળ કર્મચારીઓને તો પરસેવો જ છૂટી ગયો. " ગમે ત્યારે આવવું, ગમે ત્યારે જતાં રહેવું , ઈચ્છા ના હોય તો રજા મૂકયા વગર ઘેર જ બેસી રહેવું "- આવાં લોકોને તો સાચે ઘેર જ બેસાડી દીધાં . અત્યાર સુધી " સરકારી નોકરી એટલે સરકારના જમાઈ " કહેનારાંની, આ નવી સરકારી સાસુએ બરાબરની સફાઇ કરી નાખી. ટેબલ નીચેથી " સમજી જાઓને " કહીને પૈસા લેવાથી શું હાલ થાય એ સમજાઇ જવા લાગ્યું. દર મહિને કામનો પ્રોગ્રેસ રિપોર્ટ નીકળવા લાગ્યો . રિપોર્ટનું નામ સાંભળીને જ કર્મચારીઓને દિવસે તારા દેખાવા લાગ્યાં .
પ્રજા પણ કેમની રહી જાય ? દરેક કાયદાનું ચુસ્ત પાલન થવા લાગ્યું . પૈસા દઈને કામ કઢાવી લેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ. દરેક જગ્યાએ લાયકાતનું મહત્વ વધી ગયું. ગુણવત્તાનું તો એટલું ધ્યાન રખાતું કે ભેળસેળિયાઓનાં ધંધા-પાણી જ ઠપ થઈ ગયા. કોઇપણ સરકારી માલ-મિલકતને જરાપણ નુકસાન કરનારને આકરો દંડ થતો. કોઇપણ જગ્યાએ લાગવગ માટે " સાહેબ વાત કરવા માંગે છે" કહીને ફોન આપનારનો ફોન અને ડોક્યુમેન્ટ્સ જપ્ત થઈ જતાં. અત્યાર સુધી આ જ રીતે કામ કરાવતી આવેલી જનતાને આ અચરજ થઈ પડ્યું.
રાજ્યમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, અવ્યવસ્થાને અવકાશ જ ન્હોતો. બધું જ જેમ થવું જોઈએ એમ જ થતું હતું, હોવું જોઈએ એમ જ હતું . ભ્રષ્ટાચારને તો જાણે દેશવટો મળી ગયો હતો, શિસ્ત તો મિલિટરી કરતાં પણ વધારે હતી . ગામ-શહેર-મહાનગરો ચોખ્ખાં રહેતાં હતાં ( રાખવાં પડતાં હતાં ). દલાલી-કટકી-લાગવગશાહી બંધ થઈ ગઈ હતી. બંધારણમાં લખેલાં મૂળભૂત હકો સમાન રીતે દરેકને મળતાં હતાં . પણ દરેકે એ જ રીતે એમની મૂળભૂત ફરજો પૂરી કરવી પડતી હતી, ઈચ્છાએ-અનિચ્છાએ , ગમે કે ના ગમે - એમાંથી કોઈ છટકી નહોતું શકતું .
૨-૩ વર્ષ નીકળી ગયાં . અચાનક એક દિવસ ધારાસભામાં ઊહાપોહ થવા લાગ્યો. સરકાર સામે " અવિશ્વાસનો પ્રસ્તાવ" મૂકાયો હતો. તારણહારની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ !! ખબર નહી કે શું થયું અને કેમનું થયું , પણ તારણહાર ધારાસભામાં વિશ્વાસનો મત હારી ગયા હતા . ફરીથી ચૂંટણી આવી પડી.
ચૂંટણી પતી, ને રિઝલ્ટ્સ પણ આવી ગયાં . પરાજય, ઘોર પરાજય ! તારણહારનો પણ પરાજય, એમના દરેક ઊમેદવારનો પણ પરાજય. અમુકની તો ડિપોઝિટ પણ ડૂલ થઇ- એવો પરાજય ! ફરીથી પેલી જૂની સરકાર આવી - જનતાની , જનતા માટે, જનતા દ્વારા ચાલતી સરકાર . ફરીથી એ જ બધું ધુપ્પલ ચાલવા લાગ્યું, એ જ રફ્તારથી. ફરીથી ગોકળગાયની ગતિએ સરકાર ચાલવા લાગી, પણ જનતા ક્યાં નવરી હતી એ જોવા ? એ તો વોટ આપીને તરત ઊંઘી ગયેલી . એને ઊઠાડવાની હિંમત પણ ક્યાં હતી કોઈનામાં ? તારણહારના હાલ જોયા જ હતાં બધાંએ. બિચારો ! ફેંકાઈ ગયો, ને ખોવાઈ પણ ગયો .
અચાનક એક દિવસ ચાની લારીએ મળ્યો એ મને . હા, તારણહાર જ સ્તો ! હવે એ પહેલાંવાળી છટા નહોતી, બોલવામાં એ ઉત્સાહ નહોતો , એની સ્વપ્નશીલ આંખોમાં દુનિયાદારીના પોપડાં બાઝી ગયેલાં . મારી આંખોમાં કોઈ પ્રશ્ન વાંચીને , ચાની ચુસ્કી લેતાં લેતાં , દૂર કોઈ આકાશમાં જોતો હોય એમ એ બોલ્યો --
" આ પ્રજાનું કંઈ નહિ થાય ! દરેકને વિકાસ કરવો છે, સુખ-સમૃદ્ધિ જોઇએ છે , સુશાસન જોઈએ છે , વ્યવસ્થા જોઈએ છે . પણ એ માટે જાતે કંઈ કરવું નથી. જાતે જરાય ટીચાવું નથી. એક માણસને શોધી કાઢવો છે, એને તારણહાર બનાવી દેવો છે. પોતાની બધી જ આશા-અરમાનોનો ટોપલો એના માથે નાંખી દેવો છે. ને પછી તારણહારને શોધી લાવ્યાં એટલે આપણું કર્તવ્ય પૂરું થઈ ગ્યું એમ વિચારીને પાછું ઊંઘી જવું છે. જે કરવાનું હોય એ બધું તારણહારે જ કરવાનું હોય, અરે એટલા માટે જ તો એ તારણહાર છે . આપણને પણ કામ કરાવે તો એ તારણહાર શેનો ?? મારી સાથે એ જ થયું ને ? દરેકને દૂધથી ભરેલું જળાશય જોઈએ છે, પણ એ માટે ઘરનું એક લોટો દૂધ નાંખવા કોઈ તૈયાર નથી ! સાચું કહું છું - આ લોકોને તારણહાર નહિ, એક બકરો જોઈએ છે, એમના માટે એમના વતી બલિ પર ચડી જાય એવો બકરો ! એ બકરાને પછી એ લોકો "મસીહા" કહે છે . રહેવા દો, ભઇસાબ ! આ દેશનું કંઈ નહિ થાય !! "
એટલું બોલીને એ ચા અડધી મૂકીને, નકારમાં માથું હલાવતો હલાવતો, ચાલતો થયો . હું સુન્ન હતો, એને જતાં જોતો જ રહ્યો . એ દેખાતો બંધ ના થયો ત્યાં સુધી એના શબ્દોનાં પડઘા વાગતા રહ્યા કાનમાં : " આ દેશનું કંઈ નહિ થાય ... કંઈ નહિ થાય ... કંઈ નહિ થાય ... !! "
Vaibhav Amin












