Friday, 7 March 2014

શું તમે કદી એવી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છો જે તમને પ્રેમ ના કરતું હોય ?

શું તમે કદી એવી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છો જે તમને પ્રેમ ના કરતું હોય ? 


ગઇકાલે જ મને વિચાર આવ્યો કે દુનિયામાં એવા પણ લોકો હશે જ જેમને એકતરફી પ્રેમ એ કઈ બલાનું નામ છે એ નહીં ખબર હોય , એવા પણ લોકો હશે જ જે કદી એવી વ્યક્તિના પ્રેમમાં નહીં પડ્યા હોય જે એમને પ્રેમ ના કરતું હોય . 


મને ખબર છે કે એ સૂર્યગ્રહણ જેવી રેર ઘટના છે , પણ મને લાગે છે કે કેટલાક એવા નસીબદાર હશે જ ; જેમણે એમની highschool sweetheart જોડે જ લગન કર્યા હોય , જેમને પહેલા દાવમાં જ બધું સમુસૂતરું પાર પડ્યું હોય ; કે પછી આત્મવિશ્વાસથી ઊભરાતા હોય એવા , કોકટેલ ફિલ્મના સૈફ અલી ખાન જેવા લોકો જે એમને ગમતા પાત્રની સામે જઈને એક જ ધડાકે પૂછી શકે કે - " તુમ love at first sight મે માનતી હો , યા મે દોબારા ઘૂમ કે આઉ ? " અને એમનો આત્મવિશ્વાસ જોઈને જ એમનું પ્રિયપાત્ર પીગળી જાય , ને પછી ખાધું , પીધું ને રાજ કર્યું ! પણ આવા નસીબદારો સિવાયના આપણે બધા - જે આવા સુખી કપલ્સને જોઈને એમની ઈર્ષ્યા કરી ઊઠતા હોય એવા જ છીએ , પણ હું માનું છું કે આપણે નહીં પણ આ પહેલા-પ્રયત્ને-સફળ લોકોએ કૈંક ગુમાવ્યું છે . જિંદગીમાં દરેકે કમસેકમ એકવાર તો એવી વ્યક્તિના પ્રેમમાં પડવું જ જોઈએ જે એને પ્રેમ ના કરતું હોય ! 


તમને પ્રેમ ના કરતાં હોય એવા લોકો તમને ગમે ત્યાં મળી જ રહેશે . જેમ કે , તાજા તાજા પ્રેમમાં પડેલા કોઈને જ લઈ લો , એ એમના નવા પ્રેમીની આંખોમાં જ એવા ડૂબેલા હોય કે એના  ચહેરા પાછળનું 5 ઇંચ પછીનું પણ નથી જોઈ શકતા , તો એક ખૂણામાં બેસીને ઝૂરતા તમને જુએ એવો તો કોઈ ચાન્સ જ નથી બોસ . અથવા તમને વર્ષોથી ભાઈ કહીને જ બોલાવતી એ છોકરીને પસંદ કરો , જે તમારા વિષે બીજું વિચારે જ નહીં . એક એવો છોકરો પકડો જે આખા ગામની ગોરીઓ જોડે ફ્લર્ટ કરી આવતો હોય ( રામલીલાના રણવીરની જેમ જ સ્તો ! ) , જેને એ જ ના ખબર હોય કે એને સાચે કેવી છોકરી ગમે છે . આવું કોઈ પણ પાત્ર ચાલશે . 


અને આ પાત્ર સામાન્ય અલ્પજીવી આકર્ષણથી થોડું વધારે ખાસ હોવું જોઈએ . એ હસે છે ત્યારે કેટલી ક્યૂટ લાગે છે , કે એ તમને સ્પર્શ કરે ત્યારે થોડીવાર કેવી ઝણઝણાટી થાય છે એનાથી કામ નહીં બને . તમારે તમારા સંપૂર્ણ અસ્તિત્વને ઓગાળીને એને પ્રેમ કરવાનો છે ; સવારે આંખ ઊઘડે ત્યાંથી લઈને રાત્રે પથારીમાં આંખો મીંચીને રજાઈ ઓઢો ત્યાં સુધી - બસ તું હી તું , બસ તું હી તું - થઈ જવું જોઈએ ! એમના કોમળ (કે ઘટ્ટ ભરાવદાર ) અવાજના આરોહ-અવરોહને યાદ કરો , વાત કરતી વખતે થતાં એમના હાથના હલન-ચલનને યાદ કરતાં રહો , જેથી તમે જ્યારે ઊંઘમાં તમારી સ્વપ્ન-નગરીમાં વિહાર કરતાં હો ત્યારે એ તમારી સાથે જ છે એ વાત વાસ્તવિક લાગે . અને પછી સવારે જાગો ત્યારે એ તો ફક્ત એક સ્વપ્નું જ હતું એ યાદ આવતાં દિલના દસ-બાર હજાર ટુકડા થતાં મેહસૂસ કરો . એ જુદાઈની યાતના , એની ના ભૂલાતી યાદોમાં ખુદને ગળાઈ જવા દો , ચળાઈ જવા દો . તમને પ્રેમ ના કરતું હોય એ વ્યક્તિને પ્રેમ કરતા રહેવું એના કરતાં વધુ તીવ્ર બીજું કોઈ દુઃખ નથી હોતું . 


તમે વિચારતા હશો કે આ પાગલ થઈ ગયો છે , એટલે જાણી જોઈને ખાડામાં પડવાની સલાહો આપે છે , એવું પણ લાગે કે મને આવી મજાક કરવામાં ક્રૂર આનંદ આવતો હોય . પણ હે મારા મિત્ર , હું પાગલ નથી ; પોતાને પ્રેમ ના કરતા વ્યક્તિને પ્રેમ કરતા રહેવાથી ધીરે ધીરે કૈક થાય છે એ દરેક વ્યક્તિમાં : they manage to stop being in love ! 


અને દરેક માટે આ સમયગાળો અલગ અલગ હોય છે , પણ દરેકની જિંદગીમાં એક breaking point આવે છે , જ્યારે મન બોલી પડે છે - Enough is enough . બસ બહુ થયું , હવે વધારે નહીં ! એ કદાચ તમે સતત રડીને ગુજારેલી ત્રીજી રાતે થઈ શકે , કે કોઈ બીજા સાથે રહેવા એણે તમને 5મી વાર ના પાડી દીધી એ દિવસે પણ થાય , કે એકલા એકલા પીને અઠવાડિયું દેવદાસ રહ્યા પછીની 8મી રાત્રે પણ એવું થાય . એ પોઈન્ટ આવવા ક્યારેક મહિનાઓ નીકળી જાય , તો ક્યારેક વર્ષો . પણ ત્યાં સુધી પહોચ્યો ત્યારે કૈક થશે તમારી અંદર . 


આટલા સમય ના કહેવાય - ના સહેવાય જેવી પીડા સહન કર્યા પછી તમે એકદમ મજબૂત થઈ જશો અંદરથી , પોતાની જાત વિષે એકદમ ચોક્કસ થઈ જશો . તમને સમજાશે કે બધી જ પીડા ટેમ્પરરી હતી , પરમેનન્ટ નહીં . જિંદગી જીવવા હમેશાં કોઈ કારણ હોય જ છે , ખુદ માટે લડવા-ઝઝૂમવા કે જીતવા હમેશાં કોઈ કારણ હોય જ છે ! 


તમને એ સમજાશે કે માત્ર એ એક વ્યક્તિ તમને પ્રેમ નથી કરતી એનો મતલબ એ નથી કે કોઈ તમને પ્રેમ નથી કરતું . તમને સમજાશે કે પ્રેમ એ મેળામાં રાઈફલમાં ચણોઠી મૂકી ફુગ્ગા ફોડીને જીતી જવાની કોઈ વસ્તુ નથી ; અંધારી રાતે મોનાલિસાનું પેઇન્ટિંગ ચોરી લાવો એમ પ્રેમને ચોરાય નહીં . પ્રેમ કોઈ બીજી વ્યક્તિમાંથી નહિ , પણ તમારી અંદરથી જ આવે છે . તમે સમજશો કે પેલા સુફિયાણા લોકો જે એમ કહેતા હતા કે - “real love comes from within " - એ સાચું જ બોલતા હતા , પણ એ બધું તમારે જાતે જ શીખવાનું હતું . 


આવા એકતરફી પ્રેમમાંથી બહાર આવવું એ વર્ષોથી આંખે બાંધેલો પાટો દૂર કરવા જેવું છે - તમને અચાનક તમારી જિંદગીમાં ઓલરેડી કેટલો પ્રેમ છે એ દેખાશે , અને તમે એ લોકોની સાચી કિમત સમજશો . તમારામાં નમ્રતા આવશે , આભારની લાગણી પ્રગટશે , તમે વધુ સમજદાર થશો . 


અને એકતરફી પ્રેમમાંથી બહાર આવ્યા પછીનો સૌથી બેસ્ટ પાર્ટ - તમને અહેસાસ થશે કે તમારા દિલનો એ ઘા બીજા કોઈએ આવીને સાજો નથી કર્યો , પણ તમે જાતે જ એ કરી શકવા સમર્થ હતા . અને એકવાર તમે તમારી જાત આગળ સાબિત કરી દો કે તમે એ ઘાને રૂઝાવી શકો છો , તો તમને ફરીથી પ્રેમમાં પડવાથી ડર નહિ લાગે ! અને ફરી ફરીને તમે શોધમાં લાગી જશો . 


અને આવા જ કોઈ સમયે કોઈ મળશે તમને , ફરિસ્તાની જેમ , કુદરતી કરિશ્માની જેમ , તમે વર્ષો સુધી કરેલી પ્રેમની પૂજાના બદલામાં , તમારા મનના બગીચાને ગુલશન-ગુલશન કરી દે એવું કોઈ, જેની આંખોની ગહેરાઈમાં તમારા દિલનો દરિયો હિલોળા લેશે  , અને તમને અહેસાસ થશે કે આ અણિશુદ્ધ પ્રેમ એ લાગણીઓની સરટોચ છે , પરમાનંદની પ્રાપ્તિ જેવો ! અને ત્યારે લાગશે કે આ જિંદગી તો પૈસા-વસૂલ છે , બોસ ! 


તો શું તમે કોઈ એવી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છો જે તમને પ્રેમ ના કરતું હોય ? 


- Written by - Wes Janisen

 ભાવાનુવાદક - વૈભવ અમીન ( બીજું તો કોણ હોય ?? ) :-P


1 comment: